Friday, September 23, 2011

વારાણસી માં (ભાગ ૪) In Varanasi (part 4)

વારાણસી માં (ભાગ ૪)
-------------------------

કાશી માં પ્રથમ દિવસે ગંગા માં હું ફક્ત છબછબીયા કરી ને પાછો આવ્યો. મારી પાસે પાકીટ, ઘડિયાળ વગેરે હતા અને હું એકલો જ હતો એટલે કોને ભરોસે મુકવું એ સવાલ હતો. બીજા દિવસે હું વહેલી સવારે હોટલ પર જ બધું મૂકી ગંગા સ્નાન માટે નીકળી પડ્યો. નવેમ્બર શરુ થઇ ગયો હતો અને કાશી માં ઘણી ઠંડી હતી. હું હોટલ ની બહાર નીકળ્યો અને શિવાલા ઘાટ તરફ જવા માટે સવાર ના ઝાંખા પ્રકાશ માં એક ગલી માં ચાલવા લાગ્યો. હવે જે બન્યું તે દ્રશ્ય મને સંપૂર્ણપણે યાદ હોય, જેમાં હું પૂર્ણ રીતે 'હાજર' હોઉં એવા જિંદગી નાં જુજ દ્રશ્યો માં નું એક છે. મને એકદમ એવું લાગ્યું કે મારી આજુ બાજુ નું સમગ્ર વાતાવરણ સ્થિર થઇ ગયું છે. સમય જાણે થંભી ગયો છે. જાણે આ ક્ષણ યુગો પસાર કરી ને મારી સમક્ષ આવી રહી છે. ખરબચડા પથરા થી બનેલો રસ્તો, બાજુ માં એક બકરી ઉભી હતી તેનું મોં, થોડા પોદળા પડેલા નીચે તે, ઢોરો ને ખાવા માટે નાં ઘાસ નાં વેરાયેલા તણખલા, બાજુ માં આવેલ એક ઘર નું જુનું અને બંધ બારણું અને વહેલી સવાર ની ઠંડી. આ ક્ષણ મારી સ્મૃતિ માં ખુબ ઊંડી અંકાઈ ગઈ છે. મને યાદ છે, હું ચાલતો હતો અને જેવું આ બન્યું, હું ઉભો રહી ગયો. મન માં અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. ખરેખર આ અનુભવ શબ્દો માં વર્ણવવો અઘરો છે.

વારાણસી માં પાંચેય દિવસ હું ચાલતો ચાલતો ફર્યો. ઘણી વાર કોઈ નિશ્ચિત જગ્યા એ જવા માટે નહિ પણ ફક્ત શહેર જોવા માટે ફર્યા કરતો. એવા માં હું કેદાર ઘાટ પહોચ્યો. આ ઘાટ પર શંકર ભગવાન નું મંદિર છે અને આ મંદિર દક્ષિણ ની શૈલી માં બનેલું છે. આ ઘાટ પર દક્ષિણ ભારતીયો ની ભીડ રહે છે. ઘાટ પર થોડી વાર આરામ કરી ને એની પાછળ ની ગલી ઓ માં રખડવા લાગ્યો. એવા માં મેં એક બોર્ડ જોયું. 'સ્વામી રામકૃષ્ણ પરમહંસ નું નિવાસ સ્થાન જયારે તે કાશી આવ્યા ઈ. સ. ૧૮..'. કોઈ ઓગણીસમી સદી ની સાલ લખેલી હતી. મને ખરેખર આશ્ચર્ય થયું, બસ આમ જ રખડતા, કાશી માં રામકૃષ્ણ જ્યાં રહેલા તે જગ્યા મળી જાય એની શક્યતા કેટલી? અંદર થી જવાબ આવ્યો.. નહિવત..

આ જગ્યા એ કોઈ ભીડ નથી. એક સામાન્ય મકાન જ છે. સારું થયું કે એના બોર્ડ પર મારી નજર પડી. હું અંદર પ્રવેશ્યો. એ જૂની શૈલી નું ઘર હતું જેમાં વચ્ચે મોટો ચોક અને ફરતે ઓરડાઓ હતા. હું જોઉં છું તો ચોક માં નખશીખ ભગવા વસ્ત્રો (ધોતી વગેરે) માં સજ્જ બ્રાહ્મણો નાં બાળકો પ્લાસ્ટિક ની દડી થી ક્રિકેટ રમે છે! એમના પરિધાન ને જોઈ ને મને એવું લાગ્યું કે આ જ દેવો છે. જાણે દેવો જ અહી ક્રિકેટ રમે છે, એ અનુભૂતિ મારી અંદર થી થઇ. પરસાળ માં લાકડા ની એક ચોરસ પાટ પર હું બેઠો અને આ સંપૂર્ણ ભારતીય પોશાક માં સજ્જ છોકરા ઓ ની રમત જોવા લાગ્યો. એમને થયું હશે આ કોણ આવી ગયું છે જેને અમારી રમત જોવા નો એટલો બધો સમય છે! એકાદ બે જણા મને જાણી જોઇને દડી મારવાનો પ્રયત્ન પણ કરતા હતા, પણ એક ટુકડી નો કેપ્ટન મને ન વાગે એનું પણ ધ્યાન રાખતો હતો.

મેં એમની ચાર પાંચ મેચો જોઈ. મજા આવી ગઈ. પછી મેં એમની સાથે વાતો કરી. આ છોકરા ઓ આજુબાજુ નાં બ્રાહ્મણો નાં છોકરા ઓ છે જે અહી ચાલતી સંસ્કૃત પાઠશાળા માં ભણે છે. મેં પૂછ્યું શું ભણો છો તો કહે 'વેદ'. અહી ધોરણ ૧,૨,૩ વગેરે પ્રથા નથી, અહી માસ્તરજી સંસ્કૃત સાહિત્ય જેમ કે વેદ, પુરાણ, રામાયણ, મહાભારત વગેરે શીખવાડે છે. મોટા ભાગ નાં બાળકો અહી ભણી ને પછી વારસાગત કર્મકાંડ નો વ્યવસાય સંભાળે છે. માસ્ટરજી નો આવવાનો સમય થયો ન હતો એટલે બધા ભેગા મળી ને ક્રિકેટ રમતા હતા. પછી જ્યાં રામકૃષ્ણ રહેલા એ ઓરડા માં હું ગયો અને તેમને વાપરેલી થોડીક વસ્તુઓ, પાદુકા વગેરે જોઈ, દર્શન કરી પાછો ફર્યો.

આ જ જગ્યા મેં ૨ વરસ પછી બીબીસી ની 'સ્ટોરી ઓફ ઇન્ડિયા' ડોક્યુમેન્ટ્રી માં જોઈ. એક જ પાટિયું, એ જ ચોક, એ જ સંસ્કૃત ભણતા બાળકો અને એમના વૈદિક મંત્રોચ્ચાર!

Monday, September 12, 2011

વારાણસી માં (ભાગ ૩) In Varanasi (Part 3)

વારાણસી માં (ભાગ ૩)
------------------------

મણિકર્ણિકા ઘાટ ની આસપાસ ની ગલી ઓ પણ ખુબ વિખ્યાત છે. એક ગલી જેમાં થઇ ને ઘાટ ઉપર અવાય છે તેનું નામ છે બ્રહ્મનાલ. બ્રહ્મનાલ એટલે બ્રહ્મ ની સાથે જોડતી નાળ અથવા નળી. બનારસ ની કોઈ પણ ગલી ઓ માં ઠેકઠેકાણે ચા અને પાન ને નાસ્તા નાં ગલ્લા ઓ છે. ચા માટી નાં નાના કોડિયા ઓ માં પીવાય છે. ત્રણ રૂપિયા માં એક ચા મળે છે. જીવન અહી સસ્તું છે. ભૂખ લાગી હોય તો બાજુ ની કચોરી ગલી માં જઈ ને કચોરી, પૂરી ભાજી વગેરે ખાઈ શકાય છે. બનારસ માં નાની ગોળ કચોરી મળે છે. પાન નાં બનેલા પડિયા માં ત્રણ ચાર કચોરી ભાંગી ને એના પર ચણા અને વિવિધ કઠોળ નું બાફેલું મિશ્રણ રેડવામાં આવે છે. ઉપર થોડી ઘણી ચટણી વગેરે. નાસ્તા પછી જલેબી પણ ખાવાનો રીવાજ છે. અને પછી એક બનારસી પાન ખાઈ લીધું એટલે બે ત્રણ કલાક સુધી રખડવા ની મજા આવશે. આ ગલીઓ લગભગ માંડ દસ ફૂટ પહોળી હશે. આમાં આજુબાજુ આવેલા ૨-૩ માળ નાં મકાનોના કારણે ગલી માં સૂર્યપ્રકાશ ક્યારેય પડતો જ નથી હોતો. એટલે આ ગલી ઓ માં કુદરતી જ ઠંડક હોય છે. અહી સમગ્ર ભારત માં થી લોકો આવતા હોય છે તેથી, અહી કોઈ પણ પ્રદેશ ની વાનગી મળી જશે. એક જગ્યા એ મોટું દક્ષિણ ભારતીયો નું ગ્રુપ ઉભું હતું. પાસે જઈ ને જોયું તો ઢોસા, ઈડલી, ઉત્તપ્પા, સંભાર ની દુકાન.. ..વાહ વાહ મજા આવી ગઈ. બેંગ્લોર થી આટલે દૂર પણ આવા સરસ ઈડલી, ઢોસા ખાવા મળે એવી તો આશા જ ન હતી! બાજુ માં જ મોટા એક તાવડા માં મસાલેદાર દૂધ ગરમ થઇ રહ્યું હતું. આ જગ્યા કદાચ કાશી વિશ્વનાથ ગલી જ્યાં મેઈન રોડ ને મળે છે ત્યાં છે.

જો તમને ધાર્મિક કે ઐતિહાસિક વાતો માં મજા આવતી હોય તો બનારસ ની દરેક જગ્યા એ કોઈ ને કોઈ મહત્વની ઘટના બનેલી તમે જાણી શકશો. જયારે આશરે નવ સો વરસો પહેલા આદિ શંકરાચાર્ય અહી આવેલા ત્યારે મણિકર્ણિકા ઘાટ પાસે ની ગલી માં તેમને એક ચાંડાલ નો ભેટો થઇ ગયો હતો. કહેવાય છે આ ચાંડાલ ભગવાન શંકર પોતે હતા જેને શંકરાચાર્ય અસ્પૃશ્ય ગણતા હતા. શંકરાચાર્યએ ચાંડાલ ને કહ્યું 'દૂર ખસ'. ચાંડાલ કહે 'તું કોને દૂર ખસવાનું કહે છે મારા શરીર ને કે મારી અંદર નાં આત્મા ને?' આ વાક્ય સાંભળી શંકરાચાર્ય ને પોતાની ભૂલ સમજી ને બોલ્યા 'બ્રહ્મ સત્ય, જગત મિથ્યા' . કાશી નાં ચાંડાલ પણ એટલા વિદ્વાન હોય છે. ખરેખર કાશી માં સાધુ સંતો ની ભરમાર છે. બની શકે છે કેટલાય સિદ્ધયોગી ઓ આ ગલી ઓ માં વર્ષો થી ભટકી રહ્યા હોય, ક્યારે કોનો ભેટો થઇ જશે એ સમજવું મુશ્કેલ છે.

રામકૃષ્ણ પરમહંસ જયારે કાશી આવ્યા ત્યારે એક વાર હોડી પર બેસી ને મણિકર્ણિકા ઘાટ પાસે થી પસાર થઇ રહ્યા હતા. ઘાટ પર સળગતી ચિતા ઓ ને જોઇને એ ઉભા થઇ ગયા અને એકદમ ધ્યાનમગ્ન થઇ ગયા. એમના શિષ્યો એ એમને પકડી લીધા રખે ને એ ગંગા માં પડી જાય! રામકૃષ્ણ ને અહી ભગવાન શંકર પોતે મડદા નાં કાન માં તારક મંત્ર ફૂંકતા હોય એવું દર્શન થયું હતું.

મણિકર્ણિકા ઘાટ થી કચોરી ગલી માં થઇ ને વિશ્વનાથ ગલી માં જવાય છે જેમાં પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે. કદાચ સામાન્ય લોકો માટે કાશી ફક્ત આ જ્યોતિર્લિંગ થી ઓળખાય છે. અહી બહુ ભીડ હોય છે. મંદિર તેના મહિમા નાં પ્રમાણ માં ખુબ જ નાનું છે. કદાચ બારેય માં થી સૌથી નાનું જ્યોતિર્લિંગ હશે. ઔરંગઝેબે અસલ મંદિર તોડાવ્યા પછી ત્યાં મસ્જીદ બનાવી દીધી. એ હવે જ્ઞાનવપી મસ્જીદ તરીકે ઓળખાય છે. કહેવાય છે કાશી વિશ્વનાથ નાં શિવલિંગ નું રક્ષણ બ્રાહ્મણો એ વર્ષો સુધી કર્યું, પછી જયારે મરાઠા નું રાજ્ય આવ્યું ત્યારે અહિલ્યાબાઈ હોલકરે આ અત્યાર નું મંદિર બનાવડાવ્યું. કાશી માં મરાઠા શાસકો એ ઘણા ઘાટ અને મંદિરો નાં નિર્માણ અને જીર્ણોદ્ધાર કરાવ્યા છે. પંજાબ નાં મહારાજા રણજીતસિંહે વિશ્વનાથ મંદિર નાં ઘુમ્મટો ને સોના થી મઢાવડાવ્યા. કાશી વિશ્વનાથ નું શિવલિંગ મંદિર નાં કેન્દ્ર માં હોવાને બદલે ખૂણા માં છે. બની શકે કે જેનાં દર્શન માટે તમે બે કલાક લાઈન માં ઉભા રહ્યા હોય.. તેની બાજુ માંથી તમે પસાર થઇ જાઓ અને શોધતા રહી જાઓ કે શિવલિંગ ક્યાં છે?! મને ઘણી વાર એવું થાય છે...આખી જિંદગી ભગવાન ને શોધવામાં, યાદ કરવામાં ગાળી હોય છતાં ભગવાન મળતા નથી. કદાચ ભગવાન બાજુ માં રહી જાય છે. એ રીતે કાશી વિશ્વનાથ નું મંદિર ઘણું સૂચક છે.

Friday, September 02, 2011

વારાણસી માં (ભાગ ૨) In Varanasi (Part 2)

વારાણસી માં ગંગા પર લગભગ એંશી જેટલા ઘાટ આવેલા છે. દક્ષિણ માં અસી ઘાટ થી શરુ થઇ ઉત્તર માં રાજઘાટ સુધી લગભગ ૬-૭ કિલોમીટર લાંબો ગંગા નો કિનારો છે. ઉત્તર માં હિમાલય થી ગંગા ગબડતી ગબડતી નીચે દક્ષિણ માં કલકત્તા પાસે બંગાળ ની ખાડી ને મળે છે, પરંતુ વારાણસી પાસે ગંગા ઉત્તર વાહિની બને છે. એક સુંદર વળાંક લઇ ને ગંગા પોતાના ઉદ્ગમ શિવ ની પાસે જવા મથતી હોય એવું લાગે છે. ખરેખર લોકો એમ કહે છે કે શિવ નું આ નગર જોવા ગંગા પોતાની સ્વાભાવિક દિશા થી વિરુદ્ધ થઇ ઉત્તર તરફ વહે છે. બીજી એક વાત એ છે કે આખું કાશી ગંગા નાં પશ્ચિમ કિનારે વસેલું છે. પૂર્વ કિનારો ખાલી છે. લાંબો પહોળો એક રેતાળ પટ છે પૂર્વ કિનારો. એની પાછળ જંગલો છે ને કોઈ વસ્તી દેખાતી નથી. આશ્ચર્ય ની વાત છે કે આ શહેર દુનિયા નું સૌથી જુનું અને સળંગ વસવાટ ધરાવતું શહેર હોવા છતાં તેનું વિસ્તરણ ક્યારેય ગંગા નાં બીજા કિનારે નથી થયું. વારાણસી એ ગંગા ને ક્યારેય ઓળંગી નથી. કાશી ગંગા થી સીમિત છે. અને જયારે કાશી માં ગંગા પર ઉભા ઉભા સામે નજર કરી એ તો એવું લાગે છે આ દુનિયા નો છેડો આવી ગયો છે. અને એ જ પૂર્વ દિશા માં થી સવારે જયારે સૂર્ય ઉગે છે ત્યારે અદ્ભુત દ્રશ્ય રચાય છે. હલકી ઠંડી માં વહેલી સવારે કાશી નાં મંદિરો ની પશ્ચાદભૂ માં સૂર્ય નાં તેજ થી ઝળાહળા થતી સોનેરી ગંગા માં સ્નાન કરવું એ કદાચ આર્ય સંસ્કૃતિ નો પ્રથમ પ્રસંગ છે. માનવસંસ્કૃતિ ના આ દ્રશ્ય ની ભવ્યતા, જ્યાં ઈશ્વર ને છૂટો દોર મળે છે એવા જંગલો, પહાડો, સમુદ્રો, વન્ય જીવ સૃષ્ટિ નાં કોઈ પણ દ્રશ્ય ને ટક્કર મારે એવી છે. ખરેખર ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાને સાચું જ કહ્યું છે
"जन्नत भी भरे पानी मेरे काशी के सामने"

ચેતસિંહ ઘાટ થી નીકળી ચાલતો ચાલતો હું મણિકર્ણિકા ઘાટ પર આવી પહોચ્યો. આ સ્મશાનઘાટ છે. ગંગા પર નાં આ ખુલ્લા સ્મશાન ની ગાથા ઓ પુરાણો માં ગવાઈ છે. કહેવાય છે મણિકર્ણિકા ની ચિતા ઓ સેંકડો વર્ષો થી ઠંડી નથી પડી. અહી નું વાતાવરણ અદ્ભુત છે. અહી નાં આજુબાજુ લાકડા નાં મોટા થપ્પા છે. અહી સમગ્ર ભારત માં થી લોકો ને અંતિમ સંસ્કાર આપવા માટે લાવવામાં આવે છે. કાશી નું મરણ વખણાય છે. આ એજ મણિકર્ણિકા ઘાટ છે જ્યાં કહે છે ભગવાન શંકર ખુદ મડદા નાં કાન માં તારક મંત્ર ફૂંકે છે. ચિતા ઓ માં થી ઉંચે ચડતી રાખ થી વર્ષો થી ખરડાતા રહેલા આજુ બાજુ નાં મકાનો કાળા થઇ ગયા છે. અહી બધી વસ્તુ કાળ નાં મુખ માં ગરકાવ થઇ જાય છે. અહી આવતા ગોરા વિદેશીઓ ખુબ ગંભીર અને સ્થિર થઇ જાય છે. મૃત્યુ અને વિઘટન નો અહી એમને ખુબ નજીક થી અનુભવ થાય છે. રાતે ગંગા પર હોડી માંથી મણિકર્ણિકા નું દ્રશ્ય કોઈ ને સુંદર તો કોઈ ને બિહામણું લાગે છે. સેંકડો લોકો પોતાના સ્વજન ની અંતિમ વિદાય ને જોતાં આ ઘાટ નાં પગથીયા પર બેઠા બેઠા કંઈક વિચારતા હોય છે. કાયમ બેઠેલા લોકો નાં વજન નાં કારણે આ ઘાટ નાં પગથીયા નીચે તરફ નમી ગયા છે. જાણે આ પગથીયા પોતે અહી આવનારા ને નીચે ચિતા તરફ સરકાવી દેશે. આ ઘાટ પર કલાકો સુધી બેઠો બેઠો હું જીવન ને મૃત્યુ પર વિચાર કરતો રહ્યો. શરીરો ને સળગતા, ધુમાડો બનતા ને એ ધુમાડા ને આકાશમાં ઉંચે ચડતા જોતો રહ્યો. અહી બેઠા બેઠા ધ્યાન લાગી જાય એવી સ્થિતિ છે. ઘાટ ની આજુબાજુ ની ગલી ઓ માં થી અવિરત નવા મૃતદેહો નો પ્રવાહ ચાલુ હોય છે. આ જગ્યા ચોવીસ કલાક ધમધમે છે. અહી સાંકડી ગલી માં લાકડા ની પાટલી પર બેસી ને માટી નાં કોડિયા માં ચા પીવા ની મજા કંઈક ઓર જ છે. અહી બધું જ જુનું છે. રસ્તા, લોકો, મકાનો , મંદિરો વગેરે બધું જ જર્જરિત અવસ્થા માં છે. પણ આ આખા વાતાવરણ માં એક અદ્ભુત વ્યવસ્થા લાગે છે. અહી એવું લાગે છે બધું બરોબર થાય છે. અહી કોઈ વિરોધાભાસ નથી. કાશી માં આવી ને દુનિયા પર વિશ્વાસ બેસે છે.

Friday, August 19, 2011

વારાણસી માં (In Varanasi)

વારાણસી માં

વારાણસી એ ઉત્તર પ્રદેશ રાજ્ય માં આવેલ એક શહેર છે. એ કાશી અને બનારસ નામો થી પણ ઓળખાય છે. કાશી એક સંપૂર્ણ વિશ્વ છે. એ એક અતિશય પ્રાચીન શહેર છે. વિશ્વ ના પ્રાચીનતમ શહેરો માં નું એક. મારા માટે તો આ પૃથ્વી પર સૌથી મહત્વ નું કોઈ સ્થાન હોય તો એ કાશી છે.

આ શહેરે હંમેશા જીવન નો તાગ મેળવવા ઈચ્છતા લોકો ને આકર્ષ્યા છે. પછી ભલે ને તેમની રીતો અલગ અલગ હોય. તેમના ધ્યેયો પણ આપણને અલગ અલગ લાગે છે. પણ ખરેખર મૂળભૂત પ્રશ્નો એક જ છે. હું કોણ છું? કોઈ વસ્તુ કેમ 'છે'? કેમ કશું પણ અસ્તિત્વ માં 'છે'? 'હોવું' એટલે શું? આ દુનિયા શું છે? કેમ છે? આ સમગ્ર બ્રહ્માંડ જેમ છે એ એમ કેમ છે?

ઘણા લોકો એમ વિચારે છે કે ભગવાને આ બધું બનાવ્યું, અને તેથી ભગવાન ને શોધે છે. અને ભક્તિ તરફ વળે છે. ઈશ્વર એ આ રહસ્યવાદ ની પેદાશ છે.
ઘણા લોકો એમ વિચારે છે હમણાં ભગવાન ની જરૂર નથી. હું જાતે જ આ કોયડા નો ઉકેલ શોધીશ. આવા લોકો તર્ક અને બુદ્ધિ નો સહારો લઇ ને મચી પડે છે. આપણાં જેવા વૈજ્ઞાનીક અભિગમ ધરાવતા લોકો આ તરફ છે. વિજ્ઞાન ટેકનોલોજી વગેરે આ અ-રહસ્યવાદ કે બુદ્ધિવાદ ની પેદાશ છે.

બંને નો ધ્યેય એક જ છે.

વળી ઘણા લોકો મેં જોયા છે, જેમને જીવન માં કશું તકલીફ નથી. તેમને માટે જીવન એ કોઈ કોયડો નથી. એમને માટે બધું સરળ છે. તેઓ જીવન વ્યવહારો માં સ-રસ રીતે ખૂંપેલા હોય છે. આવા લોકો જીવન માં વધારે સુખ અને ઓછા દુઃખ ભોગવે છે.

જેમને પ્રશ્નો છે, તેમને તકલીફો છે. અને આવા પ્રશ્નો વાળા લોકો માટે કાશી છે. કાશી ની એક વિશિષ્ટ અનુભૂતિ છે જે ઘણા લોકો એ વ્યક્ત કરી છે. તે છે, સમય થંભી જવાનો અનુભવ. કાશી માં જાણે સમય નું અસ્તિત્વ જ નથી. કાશી માં ગંગા ઘાટ પર બેઠા બેઠા તમને બધું સ્થિર અને વ્યવસ્થિત લાગે છે. લાગે છે કે સમગ્ર બ્રહ્માંડ નું સત્વ આ જગ્યા માં સમાયેલું છે. સમગ્ર વિશ્વ નો અર્ક આ અનુભૂતિ છે. કાશી માં બધું શાશ્વત લાગે છે.

કાશી માં ગંગા ઘાટે બેઠા બેઠા
ખબર નથી પડતી કે આ ગંગા વહી રહી છે ને હું સ્થિર છું કે
આ સમય સ્થિર છે અને હું વહી રહ્યો છું ?

લાગે છે આ ઘાટ ના પગથીયા મારા કરતા વધુ મુલ્યવાન અને જીવંત છે.

હું જયારે પીએચડી ની પળોજણ માંથી ત્રાસેલો અને થાકેલો, કાશી ગયો હતો. મને પહેલે થી જ ખબર હતી કે આ મહત્વની જગ્યા છે. કાશી માટે મને પહેલે થી જ આકર્ષણ હતું. મને એ માનવું ગમે છે કે પાછલા જન્મો માં હું કાશી માં કોઈ પંડિત હોઈશ અને ગંગા ઘાટ પર બેઠા બેઠા લેખન વાંચન અધ્યયન માં સમય પસાર કરતો હોઈશ.

હું કાશી માં પાંચ દિવસો રહ્યો. એ પાંચ દિવસો નો અનુભવ એ મારા જીવન નો જબરજસ્ત અનુભવ છે. આજે પણ ફરી ફરી ને મને કાશી પહોચી જવાની ઈચ્છા થાય છે અને ફરી ફરી ને એ દિવસો યાદ કરી ને એ સમય ને ફરી થી જીવવાની કોશિશ કરું છું.

હું વારાણસી જંકશન રેલ્વે સ્ટેશને ઉતર્યો. મારી સાથે બહુ સમાન નહોતો. ફક્ત એક બેગ હતી. મને થયું વારાણસી માં દશાશ્વમેધ ઘાટ પર જઈ ને આજુ બાજુ માં કોઈ હોટેલ કે ધર્મશાળા શોધી કાઢીશ. રીક્ષા વાળા ની સાથે વાત કરતા કરતા એને અંદાજ આવી ગયો કે મારે ક્યાં જવું છે તે નક્કી નથી. એટલે એ મને જુદી જુદી હોટેલ વગેરે બતાડવા લાગ્યો. મેં કહ્યું મને અહી ઉતારી દે. પણ ઉતર્યા પછી પણ તે મારી સાથે જ આવતો અને હોટેલ ના મેનેજર સાથે મારી સાથે વાત કરાવતો. જાણે હું એનો મહેમાન હોઉં એમ! સ્વાભાવિક છે રિક્ષાવાળા ને પણ ઘરાક લઇ આવવા માટે કમીશન મળતું હશે. મેં એને કહ્યું જ્યાંથી ગંગા નજીક હોય તેવી હોટેલ પર લઇ જજે. છેવટે હું એક હોટેલ માં ઉતર્યો જેથી, રિક્ષાવાળા થી છુટકારો થાય. મને થયું, અહી એક જ રાત માટે રોકાવું છે. સાંજ સુધી માં બીજી સારી જગ્યા મળે તો શોધી કાઢીશ.

હું જે હોટેલ માં રહ્યો એ શિવાલા ઘાટ ની નજીક હતી. હોટેલ ગંગા કિનારે નહોતી પણ, થોડું ચાલી ને ત્યાં પહોચી શકાતું હતું. મુસલમાન ની હોટેલ હતી. વળી તેના બારણાં પર હિબ્રુ ભાષા માં કંઈક લખેલું હતું. ત્યાં ઘણા ફોરેનર્સ પણ ઇઝરાઈલી કે આરબ હોય તેવું લાગતું હતું.

સમાન રૂમ માં મૂકી ને અને થોડો થાક ખાઈ ને હું કાશી માં રખડવા નીકળી પડ્યો. જિંદગી ની એક મહત્ત્વની ક્ષણ મારી રાહ જોઈ રહી હતી. તે ક્ષણ હતી ગંગા નદી ને જોવાની, તેના પાણી ને સ્પર્શ કરવાની. ખરેખર હું આ પહેલા જયારે આઈ આઈ ટી કાનપુર ગયો હતો ત્યારે નજીક માં બિઠુર પાસે હું ગંગા નદી ને મળી ચુક્યો હતો. પણ કાશી માં ગંગા નું દર્શન કંઈક અલગ જ છે. હું કાશી માં તદ્દન નવો અને અજાણ્યો જ હતો. અને હું માનતો કે જે પણ અનુભવો મને થાય છે તે મારા પૂર્વ કર્મો ના સીધા પરિણામ સ્વરૂપે છે. હું લોકો ને પૂછતો ગલીઓ વટાવતો નદી ની તરફ આગળ વધવા લાગ્યો. હું એક જૂની પત્થર ની હવેલી માં પ્રવેશ્યો અને થોડો આગળ વધ્યો અને એક દ્વાર માં થી બહાર આવ્યો અને જોયું તો હું એક ઘાટ પર હતો. અને હા! સામે જ ગંગા નો વિશાલ પટ! અત્યંત વિસ્તૃત, ખુલ્લો અને સ્વર્ગ ના દ્વાર સમો ગંગા નદી નો વૈભવ જોઈ ને હું સ્થિર થઇ ગયો. દૂર થી લાઉડ સ્પીકર પર વાગતા વેદ મંત્રો ને સાંભળી ને હું અવાક થઇ ગયો, મને એવું લાગ્યું કે આ સમગ્ર વાતાવરણ અને આ સમગ્ર ઘટના મારા આત્મા ની ખુબ જ નજીક છે. જાણે બ્રહ્માંડ ની વિશાળતા અને શાંતિ નું પ્રતિબિંબ આ જગ્યા માં પડી રહ્યું છે. મને એવું લાગ્યું કે હું મારા સાચા અને કાયમી ઘરે આવી ગયો છું. અત્યંત પવિત્ર અને શબ્દો માં જેને વર્ણવવું અશક્ય છે એવા અનુભવ માં થી હું પસાર થઇ રહ્યો હતો. વારાણસી માં ગંગા નદી પર દૂર દૂર સુધી ઘાટ જ ઘાટ દેખાય છે. ઘાટ એટલે પત્થરો ના પગથીયા જે છેક ઊંડે સુધી પાણી માં પણ ઉતરે છે. આ પ્રદેશ માં મળતા પત્થરો નો રંગ લાલ હોય છે. એ જ પત્થરો જેનાથી ઉત્તર ભારત ની ઘણી પ્રખ્યાત ઈમારતો બંધાયેલી છે. જેમ કે લાલ કિલ્લો , ફતેહપુર સીકરી વગેરે. મને થયું હું ભારત ના હૃદય , ભારત ના કેન્દ્ર માં પહોચી ગયો છું. કાશી માં ઘણા ઘાટ આવા જ લાલ પત્થરો થી બંધાયેલા છે. મને આ પત્થરો ની પણ ઈર્ષ્યા આવી, આ પથરા પણ કેટલા નસીબદાર છે કે જેને ખુદ ગંગા સેંકડો વર્ષો થી હળવે હળવે છાલકો મારી ને નવડાવે છે. ઘાટ પર ખુબ જ ઓછા લોકો હતા. આ ઘાટ રાજા ચેતસિંહ નો ઘાટ છે. હું જે હવેલી માં થી આવ્યો તે તેનો મહેલ હતો. આ રાજા એ વોરેન હેસ્ટઇન્ગ્ઝ નામના અંગ્રેજ ગવર્નર ના સૈનિકો સાથે અહી લડાઈ લડી હતી. હું નીચે ઉતરી ને ગંગા ના ઠંડા પાણી માં મારા પગ મૂકી ને બેઠો. મેં ખોબો ભરી ને પાણી લીધું અને એમાં મારું પ્રતિબિંબ જોયું. આ એ જ પાણી છે જેને જોતાં વેત આપણાં પૂર્વજો ભાવવિભોર બની જતા ને આ એ જ ગંગા છે જેની સ્તુતિ થી ભારત નાં શાસ્ત્રો ભર્યા પડ્યા છે. આ એ જ ગંગા છે જેને યુગો થી ભારત નું જતન કર્યું છે. જાણે મારા હાથ માં ગંગા નું પાણી નહિ પણ ઈતિહાસ નો એક ટુકડો રમાડી રહ્યો છું!

Monday, April 04, 2011

Thoughts on India's World Cup win

Oh We have won the world cup and that is an event that doesn't come so often in one's life. It is a subject deserved to be pondered upon.

First of all, What a match the final was! I was feeling gloomy after India were asked to chase 274 in the final, a pressure match.

But man! Dhoni! What a player he is.. Simply great, he stepped up on the day when it mattered the most. We can learn lot of things from him. Dhoni has etched his name forever in the history of Indian Cricket and thus history of India. I think at times that he may soon become Greater than Sachin Tendulkar in objective analysis. I should not draw parallel with politics but India needs a leader like Dhoni.

We all may think that why this hype about Cricket? After all, cricket is a game, why it should be given lot of importance? But, see our people are crazy about cricket, and to perform to whole nation's expectations in tense situations required tremendous effort and skill and little bit of destiny too. I mean, it is easier to perform in league stages but, when it comes to knock-out stages, it can be sudden
death to good teams. It is like walking on a rope. I am particularly happy that we won 2 of the 3 knock-out games chasing good targets.

Oh what can be said about Yuvraj!? He has great talent and his bowling has been a revelation. The runs he made in the Australia game were crucial. I think the India-Australia match was the real tough one. Pakistan is more about hype nowadays. Australia is the new Pakistan for me. Nowadays, pakistan team is more friendlier and of course there is lack of killer instinct in them. But Australia, under Ponting was still a great team and he showed on that day in Ahmedabad. Until Raina hit that six, they were in the match.

I think Australia-England-SA trio did not prepare well for the spin. That led to their undoing. Australia-England-SA mindset is that Cricket played on fast pitches is the *real* cricket and cricket in sub-continent is a second-grade cricket. They will not admit that in the public.

Finally, I am really happy that we have won the world cup. I remember the moment when Dhoni hit that six to win it, slowly it dawned upon me that India has won the world cup and It was real. At that moment I thought that I am in middle of some history being made and my mind became still for a second or so.

The reality has given a way to years of yearning of millions of Indians.